Sunday, January 10, 2021

ઇવેન્ટ મેનેજમેન્ટમાં ૧૦૦/૧૦૦. દેશ ચલાવવામાં ૦/૧૦૦.


ચૂંટણી જીતવી અને દેશ ચલાવવો બંને અલગ બાબત છે. પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની પીડાને આજે સમજી શકે એવું સરકારમાં કોઈ નથી. સરકારને ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી, મજૂરો સાથે કોઈ લેવાદેવા નથી, સામાન્ય માણસ સાથે કોઈ લેવાદેવા નથી, ગરીબો સાથે કોઈ લેવાદેવા નથી સરકારને માત્ર ને માત્ર લેવાદેવા છે મોટા ઉદ્યોગપતિ સાથે કારણ કે ચૂંટણી સમયે આ મોટા ઉદ્યોગપતિઓ છે જે તેમને ફંડ આપશે અને તે ફંડનો ઉપયોગ કરીને સામાન્ય જનતાને ગુમરાહ કરવાના અવનવા રસ્તા અપનાવવામાં આવશે. 

જે રીતે બિહારમાં ચૂંટણી થઈ અને આખા દેશમાં જે રીતે ચૂંટણી સભાઓ થઈ રહી છે તે જોઈને કોરોના ને લઈને બધું નોર્મલ થઈ ગયું છે તેવો આભાસ લોકોને કરાવવામાં આવ્યો, પ્રધાનમંત્રી પોતે જાહેરમાં માસ્ક પહેરવાની ચોખ્ખી ના પાડે છે. જાહેર જનતાને માસ્કના નામે લૂંટવા પૂરતું કોરોનાનું અસ્તિત્વ હશે તેમ માનીને બધા નોકરી ધંધે લાગી ગયા. ગામોમાં ઘરે ઘરે પતંગ બનાવવાનું શરૂ થઈ ગયું, વેચાણ પણ શરૂ થઈ ગયું. હવે આ પતંગ નો વ્યવસાય કેવી રીતે ચાલે છે તેનું તમને એક ઉદાહરણ આપું. મોટા વેપારીઓ દ્વારા કાચોમાલ ગામમાં આપવામાં આવે અને બહેનો લય(ગુંદર) નો ઉપયોગ કરીને પતંગ બનાવતા હોય છે. 20 થી 50 પતંગ બનાવે ત્યારે એક રૂપિયો મળતો હોય છે. આ હદે શોષણ થતું હોવા છતાં અન્ય કોઈ રોજગારીનો વિકલ્પ ન હોવાથી ઘણા પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આ મોટા વેપારીઓ મોટેભાગે ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા અને કોઈ પદ પર કાર્યરત નેતાઓ હોય છે અથવા તેમના સગા સંબંધી મોટાભાગે હોય છે. આટલું શોષણ થયું હોવા છતાં તેમને પેમેન્ટ ઉત્તરાયણ પછી મળતું હોય છે, માલ વેચાઈ જાય અને વેપારી પોતાનો પ્રોફિટ કાઢી લે પછી. હવે પરિસ્થિતિ એવી છે કે પરિવારોએ મહેનત કરીને અઢળક પતંગ બનાવી છે અને તેમના નીકળતાં હજાર-બે હજાર રૂપિયા પણ હવે તેમને નહીં મળે. બીજું કે આ વખતે બનેલો સ્ટોક આવતા વર્ષે કાઢવામાં આવશે માટે આવતા વર્ષે પણ રોજગારી નહીં મળે. સરકારનો સ્વાસ્થ્ય સંબંધી નિર્ણય સ્વીકાર કરવો જ રહ્યો, આ નિર્ણય ખોટો છે એવું અમે માનતા નથી જ પરંતુ આ નિર્ણય વહેલો લેવાની જરૂર હતી. અત્યારથીજ ઉતરાયણ ની સાથે સાથે હોળી ધુળેટી પણ નહીં ઉજવાય તેની પણ જાહેરાત કરી દેવી જોઈએ જેથી ગામના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારનું શોષણ ન થાય અને રાષ્ટ્રીય સંપત્તિ આપણા કુદરતી સંસાધનોનો પણ બગાડ ન થાય. પરંતુ સરકારનો દરેક નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવે છે અને તેને કારણે વેપારીઓથી લઈને મજૂરોની હાલત દયનીય બની જાય છે. આપણી મહેનત મજૂરી ના રોજ ના કરોડો રૂપિયા મહત્વના નેતાની સિક્યોરિટી, પગાર ભથ્થા, હેલિકોપ્ટર ચાર્ટર પ્લેનમાં ફરવાના ખર્ચા વગેરે પાછળ કરવામાં આવે છે અને તેમની પાસે એક જ અપેક્ષા હોય છે યોગ્ય નિર્ણય લેવાની. પરંતુ સરકાર ઉદ્યોગપતિના નોકરિયાત હોય તે રીતે પોતાની ભૂમિકા ભજવી રહી છે સામાન્ય માણસની તેમને કોઈ જ ફિકર નથી. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો અને નાના વેપારીઓ સાથે યોગ્ય સમયે નિર્ણય ન લેવાને કારણે જે આર્થિક નુકસાન થશે તેની માટે જવાબદાર કોણ ? ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે તે માટે જવાબદાર કોણ ? સીઝનલ ધંધો કરતાં વેપારીઓ પોતાના ગોડાઉન માં સીઝનલ માલ ભારતા હોય છે. હવે પતંગ થી ગોડાઉન ભરાયેલું છે. વેચાણ થવાની કોઈ શક્યતા નથી દેખાતી નુકસાન ખાઈને પણ સસ્તામાં માલ કાઢી નાખવો પડશે કારણકે ગોડાઉન ખાલી થાય તો બાકીના સીઝનલ ધંધો થઈ શકશે. સરકારના એક વિલંબિત નિર્ણયથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોને પગાર નહીં મળે અને પતંગ નો સંગ્રહ કરતા વેપારીઓને ભારે નુક્સાન સહન કરવું પડશે. 

Image courtesy : Experience Ahmedabad.

No comments:

Post a Comment